૨૦૦૧ ભુકંપની સાલમાં ધોરણ ૮માં હું અભ્યાસ કરતો હતો, ભુપંક નામના રાક્ષસે સ્કુલને સંપૂર્ણ તોડી નાંખી હતી ત્યારે અમે થોડા સમય નવરા રહ્યા હતા. તે સમયે એક મિત્ર રોજ ઘરે આવતો અને કાંઈક નવા સમાચાર લાવતો. તે સમયમાં તે એક વખત કાંઈક પુસ્તક લઈને આવ્યો હતો અમે પુછ્યુ કે આ શું લઈને આયવો છું ? તેણે તે પુસ્તક આપ્યુ અને મે ટાઈટલ જોયુ તો ‘ઓશો વર્લ્ડ’. બસ ત્યારથી શરુ થઈ ગયુ મારું ક્રમબદ્ધ એટલે કે પાઠ્ય પુસ્તક સિવાયનું ઈતર વાંચન.
પહેલા આચાર્ય રજનિશ વાંચવામાં આવ્યા. હવે ૧૪-૧૫ વર્ષની ઉંમરથી અચાર્ય રજનિશને વાંચવા એટલે મને કાંઈ ટપ્પા પડે નહીં. પ્રકરણમાં “સીર્ફ એક મીનીટ કા ધ્યાન” એવું લખ્યુ હોય અને તે પ્રકરણમાં “ધ્યાન” નામનો શબ્દ જ ના આવતો હોય એવું બનતું. ક્યારેક તો તેમના વિચારો વાંચતા હોય તો ૧૦-૧૫ લીટી સુધી પૂર્ણ વિરામ ન આવે.ક્યારેક ક્યારેક તો મને એમ થઈ જતુ કે આ રજનિશ પાગલ હશે. મારો પેલો મિત્ર કહેતો કે “બુદ્ધિની પેલે પાર પહોંચી જાય તે વ્યક્તિ દુનિયાને પાગલ જેવો દેખાય છે. આ ઓશો બુદ્ધિની પેલે પાર પહોંચી ગયો હતો એટલે તે પાગલ જ લાગશે” અમુક વખતે તેમના વિચારો વાંચતા કાંઈ ખબર પડે નહીં ત્યારે તેમના મેગેઝીનના ડર્ટી જોક્સ વાંચતો કારણ કે તે તો સમજાઈ જ જાય ને ! 😛 થોડા સમય પછી મને આચાર્ય રજનિશના વિચારો સમજાવા લાગ્યા અને ગમવા લાગ્યા.
પછી ૧ વર્ષ સુધી મારી ઈતર વાંચન પ્રવૃતી બંધ થઈ ગઈ. ત્યાર બાદ ધોરણ ૧૨ માં ના વેકેશનમાં સ્વામી વિવેકાનંદને વાંચવાના શરુ કર્યા. તેમના વિચારો પણ મને ગમવા લાગ્યા, ધોરણ ૧૨ માં મગજ થોડુ વધારે ચાલતું હતું એટલે સારા-ખરાબ, સાચા-ખોટાનો નિર્ણય થોડો કરી શકતો હતો. સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યથી પ્રભાવીત થઈને ક્યારેક મને એમ થઈ જતુ કે “આ દુનિયામાં યોગ્ય વસ્તુ સન્યાસ છે.” કેટલીક વાર મને એમ થઈ જતુ કે “સન્યાસ લેવો તો અહિંયા રામકૃષ્ણ મિશનમાં સન્યાંસ લેવો જોઈએ.” રામકૃષ્ણ મિશનના એક સાધુ પાસેથી સંન્યાસ લેવા માટે શું પ્રકીયા કરવી પડે તે મે જાણ્યુ તેમાં ૨૮ વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. શૈક્ષણીક લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવી જોઈએ, કારણ કે જે સાધુએ સારો અભ્યાસ કર્યો હોય તે જ બીજાને સારુ જ્ઞાન આપી શકે. અભણ સાધુ શું કરી શકે ? જો કે પછી મે સંન્યાસ બાબત પર વિચાર માંડી વાળ્યો. થોડા સમય પછી મે રામકૃષ્ણ મિશનમાં ‘લાયબ્રેરીયન’ તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ૧ વર્ષ સુધી સેવા આપી. હું મિશનમાં કેટલાય સાધુ સાથે ચર્ચા ખુબ કરતો, મારી દલીલ અને તર્ક જોઈને એક સાધુ એ મને કહ્યુ “તુમ ઓશો જૈસી બાત કરતે હો, ઉસસે કઈ જ્યાદા બુદ્ધિવાલા આદમી જે. કૃષ્ણમૂર્તી હૈ ઉન્કો પઢો.” મને એવી ખબર જ નહોતી કે હું ઓશો જેવી વાતો કરુ છું. પણ અમુકને એવું લાગે. ત્યારે તે સમયમાં મે ઘણા પ્રકારના અલગ અલગ લેખકોના પુસ્તકો વાંચ્યા, ઓશો, જે. કૃષ્ણમૂર્તિ, મહાભારત, રામાયણ, પુરાણો, ઉપનિષદ વાંચ્યા. મને કોઈ નવલકથા વાંચવામાં રસ નહોતો પડતો. સૌથી વધારે મને ધર્મ, ફિલોસોફી, સાયકોલોજી વિશેના પુસ્તકો વધારે પસંદ પડતા. ૨૦૦૯ માં સુરેન્દ્રનગરમાં ‘દાદા ભગવાન’નું આત્મજ્ઞાન દિપકભાઈ પાસેથી લીધુ. તેમના પુસ્તકો મે વાંચવાના ચાલુ કર્યા, ઘણા ભાગે તેમની વાતો જૈન શાસ્ત્ર પર આવતી. તે દાદા ભગવાનના વિચારો પણ મને ગમ્યા. ઘણી વખત લાયબ્રેરીમાં હું દાદા ભગવાનના પુસ્તકો વાંચતો ત્યારે કેટલાક મૂર્ખાઓને તે મારું વાંચન તેઓને પસંદ પડતું નહી. એક ભાઈ આવીને મને કહે કે “તમે ઓશોના પુસ્તકો વાંચો તો આ બધા પુસ્તકો તમે ભુલી જાઓ.” મે કહ્યુ કે “સાચી વાત છે તમારી મે ઓશોને વાંચ્યા છે અને ખરેખર તેમના વિચારો જાણો તો બ્રેઈન વૉશ થઈ જાય. પણ મારું બ્રેઈન વૉશ નથી થયુ એટલે હું આ દાદા ભગવાનને વાંચુ છું.” ત્યારના સમયમાં જ્યારે વ્યવસ્થિત રીતે મે જે વાંચેલું તેની પર ચિંતન કરવાનું ચાલુ કર્યુ તો મને આચાર્ય રજનિશના વિચારો પર વિરોધાભાસ ઉત્પન થયો, બંન્ને બાજુ વાત બોલવી, ફિલોસોફીમાં મીંડું, શબ્દની રમત રમવી, વગેરે… મને ક્યારેક તો તેમના અમુક વિચાર પર શંકા જતી કે આ ઓશો જે બોલ્યા છે તે પોતે તે બાબતને અનુસરતા હશે ?!! પણ એક બાજુ મને તેમના સારા પાંસા જે લાગ્યા તે પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉદાહરણો સારા બતાવવા, તાર્કીક અને બુદ્ધિ લેવલ જબર જસ્ત. ત્યાર પછી મને ભક્તિ, ભજન, ધુન આ બધી બાબતો પર નાપસંદ પડવા લાગી, સ્વામી વિવેકાનંદે જે ભક્તિની બાબત બતાવે છે તે પણ મને નાપસંદ પડી. એક વખત મે સ્વામી વિવેકાનંદના પુસ્તક રાજયોગ અને જ્ઞાનયોગ આ વાંચવાના ચાલુ કર્યા, ત્યારે મે જોયુ કે સ્વામી વિવેકાનંદના વિચારો કેટલા ઉંચા કે ઓશો, જે. કૃષ્ણમૂર્તિના વિચારો તો તેમની પાસે તુચ્છ ગણાય. મારે એ સ્વીકારવું પડે કે સ્વામી વિવેકાનંદના આ બંન્ને પુસ્તક મે ૧૦ થી ૧૨ વખત વ્યવસ્થિત રીતે વાંચ્યા છે છતા મને તેમાં કાંઈ સમજણ હજુ સુધી નથી પડી. ખુબ હાઈ લેગ્વેજમાં તેમણે રાજયોગ અને જ્ઞાનયોગની વાત જણાવી છે.
મારે સામાન્ય રીતે એવું કે કોઈપણ વ્યક્તિના હું સંપર્કમાં આવું કે તે મારા સંપર્કમાં આવે એટલે હું તે વ્યક્તિને સામાન્ય જ ગણુ. મિશનમાં મારે એક ખુબ બુદ્ધિશાળી અને દરેક વિષયનું સાબિતી સહિતનું જ્ઞાન ધરાવતાં એક સાધુ સાથે મુલાકાત થઈ. મે જબર જસ્ત ચર્ચા તેમની સાથે શરુ કરી, કોઈપણ મોટો માણસ હોય તે ઉગ્ર થઈ જ જાય એવી હું ચર્ચા કરતો, પણ આ સાધુ ક્યારેય ઉગ્ર નહોતા થતા. કોઈ પણ વિષયને લગતો સવાલ કરવામાં આવે તો તેનો તેઓ વૈજ્ઞાનીક રીતે ઉત્તર આપતા. હું આ સાધુથી પ્રભાવીત થયો. અને છેક મે બે વર્ષ પછી માન્યુ કે આ સાધુ ખરેખર બુદ્ધિશાળી અને જ્ઞાનસભર છે. જ્યારે જ્યારે હું તેમને મળુ ત્યારે મને તેઓ કહે કે “કાંઈ સવાલ નથી કરવો ?” ત્રણ વર્ષ સુધી હુ સમય મળ્યે તેમને મળતો રહેતો અને ચર્ચા તેમની સાથે કરતો. એકવાર તેમણે મને કહ્યુ કે “આખા ભારતમાં હું ફર્યો છું પણ તારા જેવો ચર્ચા, તર્ક અને દલીલ કરનાર વ્યક્તિ મને નથી મળ્યો.” મે કહ્યુ કે “મહારાજ જ્યારે જ્યારે હું તમારા જ્ઞાન અને બુદ્ધિના મનમાં વખાણ કરું છું ત્યારે ત્યારે મને લાગે છે કે મારી સ્થિતિ ‘કુપ મંડુક’ જેવી છે. આ સાંભળી તેઓ હંસવા લાગ્યા.
સત્ય ઉવાચ -> ભારતમાં તલવારથી દુશ્મનો સામે ઉત્પાત મચાવનાર મહાપરાક્રમી મહાપૂરૂષો તો થઈ જ ગયા છે પણ સોય જેટલું પણ હથીયાર ઉપાડ્યા વગર ફક્ત વાણીથી ઉપ્તાત મચાવનારા અને વિદેશની ધરતીને પણ હચમચાવી નાંખનારા ઓશો, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, ચાણક્ય જેવા કેવા મહાપરાક્રમી મહાપૂરૂષો થઈ ગયા છે.!!!