મળવા જેવા માણસ=શ્રી ચીમન પટેલ ‘ચમન’–શ્રી પી.કે દાવડા
======================================================
“ <<<<ખીલતે હૈ ” ચમન કે ફુલ “ યહા”>>>>”
================================================================
ચીમનભાઈનો જન્મ ૧૯૩૩માં બર્મામાં રંગુન શહેરમાં થયો હતો.
બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાનના બોમ્બમારાથી બચવા એમનું કુટુંબ
ઉત્તર ગુજરાતના કૈયલ ગામમાં આવી ગયું. ત્યારે એમની ઉંમર સાત વર્ષની હતી.
કૈયલની પ્રાથમિક શાળાનો, અને ત્યાર બાદ કડીની સર્વ વિદ્યાલય
હાઈસ્કૂલનો અભ્યાસ પુરો કરી, ચીમનભાઈએ ૧૯૫૨માં S.S.C.ની
પરીક્ષા પાસ કરી.
હાઈસ્કૂલના સાત વર્ષોમાં નિયમિતતા, શિસ્ત, સ્વાવલંબીજીવન, નાટકોમાં,
ચિત્રોમાં, સંગીતમાં, બેન્ડમાં ડ્રમ અને વાંસળી, કસરતમાં લેઝીમ, વોલીબોલ
વગેરે અભ્યાસની સાથે મેળવી જીવનનો પાયો નંખાયો.
મેટ્રીક પાસ થતાં જ પિતાની પસંદગીની અભણ કન્યા સાથે એમના લગ્ન
કરાવી દેવાયાં. કન્યા જોવાની માગણી કે લગ્ન વિરોધ કરવા જેવી
પરિસ્થિતિ ત્યારે નો’તી!
અમદાવાદની ગુજરાત કોલેજમાં F.Y.Sc. માં દાખલ થયા. પરીક્ષા વખતે
માંદા પડ્યા ને પરીક્ષા ન આપી શક્યા! વતન પાસેની એક હાઈસ્કુલમાં
નોકરી લીધી અને F.Y.Sc ની પરીક્ષા આપી પાસ થયા એટલે અભ્યાસ
આગળ વધારી Int.Sc કરીને અમદાવાદની એન્જિનિયર કોલેજમાં પ્રવેશ
કર્યો.
સામાજિક સમસ્યાઓને કારણે અભ્યાસમાં ચિત્ત ચોટ્યું નહીં અને નાપાસ
થયા.એન્જિનિયર કદાચ નહીં થવાય એટલે પાછા ગુજરાત કોલેજમાં
Jr.B.Sc શરું કર્યું.
એન્જિનિયરની અને Jr.B.Sc ની બંનેમાં પાસ થયા. બીજા વર્ષે ઈલેક્ટ્રિકલને
બદલી સિવિલમાં જવાની પરવાનગી ન મળતાં,વલ્લભ વિદ્યાનગરની
BVM એન્જિનિયર કોલેજમાં પ્રવેશ મેળવી તેમણે ૧૯૫૯માં B.E.(Civil)
ડીગ્રી મેળવી અને PWD સિંચાઈ ખાતામાં અમદાવાદ લાલ દરવાજે નોકરી
શરું કરી.
PWD ની નોકરી દરમ્યાન એમણે વાર્તાઓ લખવાનું શરું કર્યું. પ્રથમ વાર્તા
“કળશ”, અમદાવાદથી પ્રકાશિત “ચાંદની” માસિકમાં પ્રગટ થઈ. ત્યાર પછી
“ચાંદની”માં“એક પાનાની વાર્તા” શિર્ષક હેઠળ બીજી વાર્તા પ્રગટ થઈ.
મુંબઈથી પ્રગટ થતા “નવવિધાન” માસિકમાં ત્રીજી વાર્તા પ્રગટ થઈ,
અને આમ એમની સાહિત્ય પ્રવૃતિની શુભ શરૂઆત થઈ.
આ ગાળામાં નિયંતિકા સાથે અકસ્માતે પરિચય થયો જે ધીરે ધીરે
પ્રેમસ્વરૂપેપાંગર્યો. સમાજ અને સગાઓને આ પ્રેમ પ્રકરણ ગમ્યું નહીં!
અમદાવાદની નોકરી છોડી, ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનીકમાં
લેકચરરતરીકેની નોકરી સ્વીકારી. અહીં એમણે શિક્ષણ ઉપરાંત કોલેજના
મેગેઝીનના સંપાદન, વાર્ષિક નાટકોનું દિગદર્શન કરી, નાટકોમાં ભાગ લઈ
અનેક પ્રવૃતિઓમાં રસ લઈ વિદ્યાર્થીઓમાં પ્રિય પ્રોફેસર થયા.
નિયંતિકાથી દુર રહીને કાગળોમાં કાવ્યો લખવાનો મોકો મળ્યો.
ભાવનગરના “સૌરાષ્ટ્ર સમાચારમાં” ૧૧ જુલાઈ’૬૫માં ‘ઉકળાટ’ કાવ્ય
પ્રકાશિત થયું.
ભારતમાં રહીને પ્રથમ લગ્નનો ઉકેલ લાવવા પાછળ સમય બગાડવા
કરતાં ઉચ્ચ અભ્યાસાર્થે જાન્યુ. ૧૯૬૭માં અમેરિકા આવી ગયા.
University of Houston માંથી ૧૯૬૮માં M.S. (Civil) ની ડીગ્રી પ્રાપ્ત કરી
અને Fluor Daniel કંપનીમાં નોકરીએ લાગી ગયા.
હ્યુસ્ટનની કોર્ટમાંથી પ્રથમ લગ્નના છૂટાછેડા મેળવ્યા.
૧૯૬૯માં નિયંતિકાને અમેરિકા બોલાવી હ્યુસ્ટનની કોર્ટમાં લગ્ન કરી લીધા.
૩૦ એપ્રિલ ૧૯૭૬ના અમેરિકન સીટીઝન થઈ, બે અનુજ ભાઈઓ અને
એક બેનને પરિવાર સાથે અમેરિકા બોલાવી લીધાં.
નિયંતિકા સાથેના ૪૨ વર્ષના સુખી સંસાર બાદ ૭ ફેબ્રુઆરી ૨૦૧૧માં
નિયંતિકાબેનનું કેન્સરમાં અમદાવાદ ખાતે અવસાન થયું.
એમના લગ્નથી બે પુત્રીઓ, એક પુત્ર અને ચાર પૌત્રો હ્યુસ્ટનમાં જ રહે છે.
“૧૯૬૭માં અમેરિકા આવ્યા બાદ પણ ચીમનભાઇનો સાહિત્યમાં રસ
જળવાઈરહ્યો, બલકે વધ્યો. હ્યુસ્ટનના ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’માં
એમણે દર મહિને હાસ્ય લેખલખવાના શરૂ કર્યા એટલું જ નહીં પણ એમની
ચિત્રકલાની આવડતનો ઉપયોગકરી,દર્પણના Cover page તૈયાર કર્યા.”
“૧૯૯૭માં એમના હાસ્યલેખોને પ્રથમ પુસ્તક “હળવે હૈયે” માં સમાવી
લેવામાં આવ્યા.”
“હ્યુસ્ટનના બીજા એક માસિક “ધરાગુર્જરી”માં એમણે કવિતા અને હાસ્ય
લેખ લખવા ઉપરાંત માસિકના કલા નિયોજક તરીકેની કામગીરી પણ
નિભાવી અને એમના ચિત્રોથી માસિકના મુખપૃષ્ટને શણગાર્યા.”
“૧૯૮૫માં એમના આ કાર્ય બદલ એમને“ધરાગુર્જરી એવોર્ડ” અપાયો.”
આ ઉપરાંત એમના લેખો અમેરિકાના કેટલાક માસિકોમાં પ્રગટ થતા રહ્યાઃ
(૧) નવ વિધાન (૨) ગુંજન (૩) ગુર્જરી ડાયજેસ્ટ
(૪) ગુજરાત દર્પણ (૫) ગુર્જરી (૬) ગુજરાત લાઈન (કેનેડા)
ચીમનભાઈની કવિતાઓ અને લેખો “પુસ્તકાલય” વેબસાઈટ ઉપર પ્રથમ
મુકાયા અને ત્યાર બાદ એમણે પોતાનો બ્લોગ “ચમનકે ફૂલ” શરૂ કર્યો.
વર્ષોથી ચીમનભાઈ હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્ય છે અને ત્યાં
પોતાની રચનાઓ રજૂ કરી સૌને હસાવે છે.
એમની બધી રચનાઓ એમણે “ચમન” ઉપનામથી પ્રગટ કરી છે.
મિત્રો અને સગાઓની વર્ષગાંઠ અને એનીવર્ષરી વખતે ‘હઝલ’ લખી,
રજુ કરી પેક્ષકોને હસાવવામાં મોખરે છે.
ચીમનભાઈની રચનાઓની ખાસ ખૂબી એ છે કે
જે કહેવું હોય તે સીધે સીધું કહી દે છે; ગોળ ગોળ શબ્દોમાં નહિ.
એક ગઝલમાં તેઓ કહે છે;
“વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!
ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!”
બીજી એક રચનામાં એ કહે છે;
“કરી રાખ્યું છે ઘન ભેગું આજ સુધી તો ઘણું,
દઇ દો દાનમાં થોડુ,લેનારા વળી મળે ન મળે!
કરી છે વાતો તમે ખોટી ઘણી બધી આજ સુધી,
કહિ દો હવે સાચું, સાંભળનાર ફરી મળે ન મળે!
એક રચનામાં સલાહના રૂપમાં કહે છે,
“જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!
હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!”
એમની ટેકનોલોજી ઉપર લખેલી “બેસતા કરી દીધા” રચના તો બ્લોગ્સમાં
હજુ પણ ફરતી જોવા /સાંભળવા મળે છે,
“ખાવાનો ચસ્કો બધાનો જુઓ વધતો જાય છે આજે,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીધા!
કથાઓ કરાવી ને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
કુટુંબો વચ્ચેના ક્લેશો ભઈ, કેમ વધારતા કરી દીધા?
સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઈલેક્ટ્રીક’ ભઠ્ઠામાં મડદાં ઝટ બાળતાં કરી દીધા
ચિત્રકલામાં ખાસ કરીને ચારકોલ આર્ટમાં એમને સારી મહારથ છે.
“ચિત્ર નંબર–૧ એમની સ્વર્ગસ્થપત્ની નિયંતિકાનો ફોટોગ્રાફ છે.”
“અને ચિત્ર નંબર–૨માંચીમનભાઈએ દોરેલું ચારકોલ ચિત્ર છે.”
ચિત્રકલા ઉપરાંત ફોટોગ્રાફી પણ એમની એક હોબી છે.
અહિ ઘણા વર્ષો સીન્ગલ ટેનીસ રમી, હવે હળવી કસરતોની સાથે ફાસ્ટ
ચાલવાનો ક્રમ ચાલુ રાખ્યો છે.
“રાતના ૯ વાગે સુઈ જઈ સવારે ૪ વાગે ઉઠવાનો ક્રમઆજે ૮૨ વર્ષની વયે પણ ચાલુ છે.”
સવારના ૨૫ મિનિટમાં યોગ સાથે શરીરુપિયોગી હળવી કસરત કરી
નોકરીએ જાય છે
ફુરસદના સમયમાં શાકભાજીની ખેતી કરી, મકાન ફરતે એવરગ્રીનને
માળીની જેમ આકૃતિઓ આપી શોભાવે છે.
ચીમનભાઈ ‘ચમન’ એટલે પોતાની શર્તે પોતાનું જીવન વ્યતિત કરતી
એક Vibrant પ્રતિભા…
=====================================================
આલેખન- શ્રી પી. કે. દાવડા સાહેબ





















