Martyrs of Indian Freedom Struggle [22] – Veer Surendra Sai of Odissa

ઓડીશાના વીર સુરેન્દ્ર સાય

૧૮૫૭ના વિદ્રોહની આગ આમ તો આખા દેશમાં ફેલાયેલી હતી પણ એમાં અમુક કેન્દ્રો મુખ્ય રહ્યાં. ઓડીશામાં સંબલપુરે વિદ્રોહની આગેવાની લીધી.  સંબલપુરના વીર સુરેન્દ્ર સાય આમ તો છેક ૨૨ વર્ષની ઉંમરે, ૧૮૨૭થી ઈસ્ટ ઇંડિયા કંપનીની જોહુકમી સામે લડતા રહ્યા અને એમણે ૧૮૫૭ પહેલાં ૧૭ વર્ષ અને તે પછી ૨૦ વર્ષ અંગ્રેજોની જેલમાં ગાળ્યાં.

સુરેન્દ્ર સાય સોળમી સદીના ચૌહાણ વંશના રાજા મધુકર સાયના સીધા વારસ હતા. પરંતુ પાટવી કુંવરને રાજગાદી મળે એટલે એમના બાપદાદાને વારસામાં ગાદી નહોતી મળી. પરંતુ ૧૮૨૭માં  એ વખતના રાજા નિઃસંતાન મૃત્યુ પામતાં વારસાનો સવાલ ઊભો થયો. સુરેન્દ્ર સાયએ પોતે ગાદીના હકદાર હોવાનું દેખાડ્યું પણ  કંપનીએ સર્વોપરિ સત્તા તરીકે એમનો દાવો નકારી કાઢ્યો અને વિધવા રાણી  મોહના કુમારીને રાજગાદી સોંપી. હિન્દુસ્તાનની પરંપરાથી આ નિર્ણય વિરુદ્ધ હતો એટલે લોકોમાં કંપનીની જોહુકમી સામે ચણભણાટ શરૂ થયો. સુરેન્દ્ર સાયએ આનો વિરોધ કર્યો. ગોંડ આદિવાસીઓના રાજાએ પણ એમને ટેકો આપ્યો.

આ બાજુ, રાણી મોહના કુમારી પણ વહીવટ જાણતી નહોતી એટલે અરાજકતા વધી.

હવે ઈસ્ટ ઇંડિયા કંપનીએ રાણીને પેન્શનર તરીકે કટક મોકલી દીધી અને  ચૌહાણ વંશના જ એક વૃદ્ધ જમીનદાર નારાયણ સિંઘને ગાદીએ બેસાડ્યો. પરંતુ એથી તો લોકો ભડક્યા. લોકલાગણી સુરેન્દ્ર સાયની તરફેણમાં હતી. ગોંડ આદિવાસીઓ પણ એમને ટેકો આપતા હતા એટલે ૧૮૪૦માં નારાયણ સિંહે લખનપુરના ગોંડ જમીનદારને મરાવી નાખ્યો. અંગ્રેજોએ આ હત્યા માટે સુરેન્દ્ર સાયને જવાબદાર ઠરાવીને એમને પકડી લીધા અને આજીવન કેદની સજા કરી. ૧૮૪૯માં નારાયણ સિંઘનું પણ ગાદીનો વારસ છોડ્યા વિના  મૃત્યુ પામ્યો અને ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ હેઠળ કંપનીએ સંબલપુરનું રાજ્ય ખાલસા કરી લીધું. સુરેન્દ્ર સાયને તો કોઈ પણ રીતે ગાદી સોંપવા કંપની તૈયાર નહોતી.

૧૮૫૭નો વિદ્રોહ શરૂ થયો ત્યારે સુરેન્દ્ર સાય જેલમાં જ હતા. પણ વિદ્રોહીઓએ જેલ પર જ હુમલો કરીને સુરેન્દ્ર સાયને મુક્ત કરાવ્યા અને એમને બળવાના સરદાર બનાવ્યા. એમણે બહાર આવીને ફોજ બનાવવાનું શરૂ કર્યું તેમાં આદિવાસીઓનો એમને ભારે ટેકો મલ્યો. બધા ગોંડ જમીનદારો સુરેન્દ્ર સાયના નેતૃત્વમાં કંપની રાજ સામે એકઠા થઈ ગયા. ૧૮૫૭ પછી છેક ૧૮૬૨ સુધી એ અંગ્રેજોની સામે લડતા રહ્યા.  એમના માણસો અંગ્રેજો પર ઓચિંતો જ હુમલો કરતા અને નાસી જતા. આ છાપામાર લડાઈથી અંગ્રેજો થાક્યા.

કંપનીએ હવે સેનાના વડા ફૉર્સ્ટરની બદલી કરી નાખી અને નવા વડા  તરીકે મેજર ઇમ્પીને નીમ્યો. ઇમ્પી આમ તો બીજે ઠેકાણ વિદ્રોહને દબાવવામાં સફળ થયો હતો એટલે એને સંબલપુર મોકલવામાં આવ્યો હતો પણ એ અહીં ફાવ્યો નહીં. એણે નવી નીતિ અખત્યાર કરી અને  શરણે થનારા વિદ્રોહીઓને અભયદાનનું વચન આપ્યું અને વાટાઘાટો શરૂ કરી. સુરેન્દ્રે પણ અંગ્રેજોની પ્રામાણિકતામાં વિશ્વાસ રાખીને વિદ્રોહ પડતો મૂક્યો અને સમજૂતી કરી લીધી. પરંતુ કંપનીના બીજા અધિકારીઓને ઇમ્પીની સમાધાન નીતિ પસંદ નહોતી. એમણે ઇમ્પી પર સુરેન્દ્રને પકડી  લેવાનું દબાણ કર્યું.  દરમિયાન ઇમ્પીનું મૃત્યુ થઈ ગયું. આનો લાભ લઈને કંપનીએ પોતાની જ સમજૂતીનો ભંગ કરીને ૧૮૬૪માં એમની ધરપકડ કરી.  ૧૮૮૪ના  ફેબ્રુઆરીની ૨૮મીએ એમનું ૭૫ વર્ષની ઉંમરે અસીરગઢ (મધ્યપ્રદેશ)ની જેલમાં જ અવસાન થયું.

સુરેન્દ્ર સાયે એમની અર્ધી જિંદગી અંગ્રેજોના વિરોધમાં ગાળી નાખી. એમને અંજલી રૂપે ટપાલ ટિકિટ તો ભારત સરકારે બહાર પાડી છે પરંતુ આપણા ૧૮૫૭ના સંગ્રામના ઇતિહાસમાં એમને પૂરતું સન્માન નથી મળ્યું એ દુઃખની વાત છે.

૦૦૦

સંદર્ભઃ

http://magazines.odisha.gov.in/Orissareview/august-2007/engpdf/Page72-75pdf

https://odishabytes.com/veer-surendra-sai-a-valiant-fighter-against-british-imperialism-know-about-1857-rebellion-in-w-odisha/

Martyrs of Indian Freedom Struggle [21] – Maharashtra (3) – Veer Baburao Shedmaake

મહારાષ્ટ્રમાં વિદ્રોહ (૩)

વીર બાબુરાવ શેડમાકે

મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અને ચંદ્રપુરનો પ્રદેશ ૧૮૫૭ પહેલાં ‘ચંદા’ નામે ઓળખાતો. આદિવાસી રાજ-ગોંડ જાતિનું  આ પ્રદેશમાં હમેશાં પ્રભુત્વ રહ્યું છે. એમની પાસે જમીનો હતી અને ઘણા તો મોટા જમીનદાર હતા. ૧૮૫૪માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચંદા પ્રદેશનો કબજો લઈ લીધો અને વહીવટ માટે એક કલેક્ટર નીમ્યો. કંપનીએ સૌથી પહેલાં તો એમની જમીનો પર કબજો કરવા માંડ્યો. કોઈ પણ બહાને જમીનો ઝુંટવી લેવાતી. આથી અસંતોષ તો હતો જ. એ સ્થિતિમાં ખાનદેશના આદિવાસીઓના વિદ્રોહે રાજ-ગોંડ આદિવાસીઓમાં પણ જોશ આણી દીધું.

બાબુરાવ શેડમાકે મોલમપલ્લીના જમીનદાર હતા અને ચોવીસ ગામો એમને હસ્તક હતાં. ૧૮૫૮ના માર્ચમાં એમણે ગોંડ. મારિયા અને રોહિલા આદિવાસીઓમાંથી પાંચસો મરણિયા યુવાનોની ફોજ તૈયાર કરી અને આખા રાજગઢ પરગણા પર પોતાની આણ વર્તાવી. કલેક્ટર ક્રિખ્ટનને આ સમાચાર મળતાં એણે લશ્કરી ટુકડી મોકલી. ૧૩મી માર્ચે ભારે યુદ્ધ થયું તેમાં શેડમાકેના અદિવાસી સૈનિકોએ અંગ્રેજ ફોજને જબ્બર હાર આપી. અંગેજી ફોજને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી.

શેડમાકેની બહાદુરી જોઈને અડાપલ્લી અને ઘોટના જમીનદાર વ્યંકટ રાવ પણ શેડમાકેની મદદે આવ્યા. બન્નેના સૈન્યમાં ગોંડ અને રોહિલા જાતિના બારસો સૈનિકો હતા. હવે એમણે ખુલ્લંખુલ્લા બ્રિટિશ સત્તા સામે યુદ્ધ જાહેર કર્યું. ક્રિખ્ટને ફોજને કુમક મોકલી પણ શેડમાકે અને વ્યંકટ રાવના સૈનિકોએ એમને હરાવ્યા. હવે ત્રીજી ટુકડી પણ અંગ્રેજોની ફોજ સાથે જોડાઈ.

પરંતુ અંગ્રેજો ફરી પરાસ્ત થયા.  ૨૯મી એપ્રિલે શેડમાકેનાં દળોએ તાર ઑફિસ પર જ કબજો કરી લીધો. આદિવાસીઓ તાર પદ્ધતિને એમને ગુલામ બનાવવાનું સાધન માનત  હતા. તાર ઑફિસ પર વિદ્રોહીઓ. કબજો કરી લે તે અંગ્રેજો માટે શરમની વાત હતી. ફરી અંગ્રેજી ફોજને શેડમાકેના આદિવાસીઓ વિરુદ્ધ  મેદાને ઊતરવું પડ્યું પણ ૧૦મી મે ૧૮૫૮ના દિવસે કંપનીની ફોજ ભૂંડા હાલે ભાગી છૂટી.

ક્રિખ્ટને જોયું કે લડાઈમાં કંઈ વળે તેમ નથી એટલે એણે નવો રસ્તો શોધી કાઢ્યો. એણે આહેરીની જમીનદારણ લક્ષ્મીબાઈ પર દબાણ કર્યું કે એ શેડમાકેને પકડાવી દે, એણે ધમકી આપી કે લક્ષ્મીબાઈ મદદ નહીં કરે તો કંપની એની જમીનદારી પોતાના હાથમાં લઈ લેશે. લક્ષ્મીબાઈ તરત મદદ કરવા તૈયાર થઈ ગઈ. એણે પોતાની ફોજ મોકલીને શેડમાકેને કેદ કરી લીધા. જો કે એ લક્ષ્મીબાઈની ફોજના સકંજામાંથી ભાગી છૂટ્યા અને તે પછી બ્રિટિશ હકુમતના વિસ્તારમાં લૂંટફાટ કરતા રહ્યા.

છેવટે ૧૮મી સપ્ટેમ્બરે એ ફરી પકડાઈ ગયા.  લક્ષ્મીબાઈએ એમને તરત અંગ્રેજી હકુમતના હાથમાં સોંપી દીધા. ૨૧મી ઑક્ટોબરે એમ્મની સામે કેસ ચલાવીને તે જ દિવસે ચંદ્રપુરની જેલમાં એને ઝાડે લટકાવીને ફાંસી આપી દેવાઈ. એમના સાથી વ્યંકટ રાવ બસ્તરના રાજાને શરણે ગયા પણ અંતે પકડાઈ ગયા. એમની સામે પણ કેસ ચાલ્યો પરંતુ એમની માની દરમિયાનગીરીથી એને જનમટીપની સજા મળી.

ભારતના ઇતિહાસમાં આવી ઘણી ઘટનાઓ છે જેમાં પોતાના જ લોકોને ફસાવવા માટે બીજાઓ આગળ આવ્યા હોય અને એ કારણે વિદેશીઓ પગદંડો જમાવી શક્યા.


(ચંદ્રપુરમાં બાબુરાવ શેડમાકેના સ્મારકનો ફોટો. બાજુમાં પીપળાનું ઝાડ છે તેના પર એમને ફાંસી અપાઈ હતી).

૦૦૦

ફોટો અને મૂળ લેખઃ અમિત ભગતઃ

સંદર્ભઃ http://www.livehistoryindia.com/snapshort-histories/2019/05/10/baburao-sedmake-adivasi-hero-of-1857

૦૦૦

Design a site like this with WordPress.com
શરૂ કરો